વાગરા તાલુકાના દહેજ તેમજ સાયખા-વિલાયત જીઆઈડીસી નજીકના ગામડાઓના ભૂગર્ભ જળ પ્રદુષિત હોવાની આશંકાને પગલે પંથકમાં દહેશત પ્રવર્તી જવા પામી છે.ટીડીએસ,નાઈટ્રેટ, ક્લોરાઈડનું પ્રમાણ ચકાસવા લોકોમાંથી માંગ બુલંદ થઈ રહી છે. જીઆઈડીસી નજીક આવેલા ગામડાઓના ભૂગર્ભ જળના નમૂનાની ચકાસણી હાથ ધરાય તેવી માંગ પંથકની જાગૃત જનતામાંથી ઉઠવા પામી છે. સાયખા તેમજ વિલાયત અને દહેજ ઔદ્યોગિક વસાહત આસપાસના ગામના લોકો ભૂગર્ભ જળનો ઘર વપરાશની સાથે સાથે પીવામાં પણ ઉપયોગ કરી રહ્યા છે,ત્યારે તેની ચકાસણી અનિવાર્ય બની છે.પ્રદુષિત ભૂગર્ભજળ ને કારણે કેન્સર,ત્વચાના રોગો, પથરી સહિત બીજા અનેક રોગો થવાની ભીતિ સેવાઇ રહી છે.સંશોધકોનું માનવું છે કે,પાણીમાં વધારે ટીડીએસના કારણે પથરી, પાચન તંત્રની સમસ્યા કે પછી કિડની પર સોજો પણ આવી શકે છે. પાણીમાં વધારે પડતી હાર્ડનેસથી ત્વચાના રોગો થવાની શક્યતા રહેલી છે.

પાણીમાં નિયત માત્રા કરતા વધુ ઘટકો સજીવ સૃષ્ટિ માટે હાનિકારક સાબિત થાય છે.વાગરા તાલુકાના સાયખા અને દહેજ તથા વિલાયત GIDC નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાની આશંકા ખરેખર ચિંતાજનક બાબત છે. ઔદ્યોગિક કેમિકલ વેસ્ટના કારણે પાણીના સ્તર બગડવાની બાબત સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય અને ખેતી માટે ગંભીર જોખમ ઊભું કરી શકે તેમ છે.ઔદ્યોગિક વિસ્તારના લોકો દ્વારા પાણીમાં TDS (ટોટલ ડિઝોલ્વ્ડ સોલિડ્સ),નાઈટ્રેટ, અને ક્લોરાઈડ ઉપરાંત પાણીમાં રહેલા અન્ય ઘટકોનું પ્રમાણ તાત્કાલિક ધોરણે ચકાસવાની માંગ કરવામાં આવી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારોના બોરવેલ અને કૂવાના પાણીના સેમ્પલ લઈને સત્તાવાર તપાસ થવી જરૂરી છે.આધારભૂત સૂત્રો થકી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે કેટલાક ગામોના અગ્રણીઓ દ્વારા પાણીનું સેમ્પલ લઈને ચકાસણી અર્થે ખાનગી લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.જો ભૂગર્ભમાંથી આવતું પાણી પ્રદુષિત હોવાનો રિપોર્ટ આવશે તો આગળ કાયદાકીય લડતના મંડાણ થવાના એંધાણ પણ વર્તાઈ રહયા છે.

ઈન્ડસ્ટ્રીયલ ઓડિટ અંતર્ગત GIDC ની કંપનીઓ પોતાના કેમિકલ યુક્ત પાણીનો યોગ્ય નિકાલ (ETP પ્લાન્ટ દ્વારા) કરે છે કે નહીં,તેનું કડક ચેકિંગ હાથ ધરવું જોઈએ તેવી લાગણી પણ પંથકમાં પ્રસરી જવા પામી છે.સ્થાનિક પ્રસાશન અને પર્યાવરણ વિભાગ આ બાબતને ગંભીરતાથી લઈને સ્થાનિક નાગરિકોના હિતમાં વહેલી તકે પગલાં ભરે તે પંથકના લોકોના હિતમાં અનિવાર્ય બન્યું છે.
પાણીમાં કયા ઘટકનું કેટલું પ્રમાણ હોવું જોઈએ…..????
ઘટક નિયત માત્રા
(મિલિગ્રામ પર લિટર)
ટીડીએસ. ૫૦૦
હાર્ડનેસ. ૮૦-૧૦૦
ક્લોરાઈડ ૨૫૦
આલ્કલિનિટી ૧૦૦-૧૦૫
નાઈટ્રેટ. ૪૫.
ક્રોમિયમ. ૦.૦૫
કેડમિયમ. ૦.૦૦૩.
કોબાલ્ટ. ૦.૦૧
ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા









