કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શિવ દુગ્ધાલય ને સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના માપદંડોમાં ગંભીર ક્ષતિઓ બદલ રૂપિયા ત્રીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.અસ્વચ્છતા અને એક્સપાયરી ડેટ વગરના ખાદ્યપદાર્થો ઝડપાતા મ્યુનિસિપલ તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. કરમસદ આણંદ મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા શિવ દુગ્ધાલય ખાતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સંસ્થાના પરિસરમાં અનેક ગંભીર અનિયમિતતાઓ અને ક્ષતિઓ પ્રકાશમાં આવી છે, જેને પગલે મ્યુનિસિપલ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પગલાં લેવામાં આવ્યા છે.

મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા નિરીક્ષણ દરમિયાન શિવ દુગ્ધાલયમાં સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. વધુમાં, વેચાણ અર્થે રાખવામાં આવેલી વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓ પર અનિવાર્ય એવી એક્સપાયરી ડેટનો કોઈ ઉલ્લેખ જોવા મળ્યો ન હતો.જાહેર આરોગ્ય સાથે સીધી રીતે જોડાયેલી આ પ્રકારની બેદરકારી અને નિયમોના ઉલ્લંઘનને ગંભીરતાથી લઈને તપાસનીશ અધિકારીઓ દ્વારા સ્થળ પર જ દંડનીય કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન મળી આવેલી વિવિધ અનિયમિતતાઓ બદલ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શિવ દુગ્ધાલયને ત્રીસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.કરમસદ આણંદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા ભારપૂર્વક જણાવાયું છે કે જનઆરોગ્ય અને સ્વચ્છતાના વિષયમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં અને નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે ભવિષ્યમાં પણ આ જ પ્રકારે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

ડિજિટલ યુગ ન્યૂઝ આણંદ








