આણંદ ની ચારૂસેટ યુનિવર્સિટીના પદવિદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે યુવાનોને સ્પષ્ટ ઉદ્દેશ – લક્ષ્ય નક્કી કરી તેના ઉપર દ્રઢ મનોબળ સાથે આગળ વધવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઉદ્દેશ વગરનું જીવન ક્યારેય સાચી સફળતા પ્રાપ્ત કરી શકતું નથી. વ્યક્તિએ પોતાની કારકિર્દીની સાથે સમાજ અને રાષ્ટ્ર માટે યોગદાન આપવાનો સંકલ્પ લેવો જોઈએ.ભારત હાલમાં અમૃતકાળના સમયગાળામાં પ્રવેશી ચૂક્યું છે. વર્ષ ૨૦૧૪ માં ૧૧ મા ક્રમે રહેલું ભારતીય અર્થતંત્ર આજે વિશ્વમાં ચોથા ક્રમે પહોંચ્યું છે. તેમ જણાવી અમિત શાહે ૨૦૨૭ સુધીમાં ભારતીય અર્થતંત્ર ત્રીજા ક્રમે પહોંચશે નો મજબૂત આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેઓએ ઉમેર્યું હતું કે, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, મેન્યુફેક્ચરિંગ, મોબાઇલ ઉત્પાદન, ઓટોમોબાઇલ, દૂધ ઉત્પાદન, સ્પેસ, ગ્રીન એનર્જી, ડિફેન્સ અને સેમીકન્ડક્ટર જેવા ક્ષેત્રોમાં ભારતે છેલ્લા દાયકામાં ઐતિહાસિક પ્રગતિ કરી છે, જેના કારણે યુવાનો માટે અપાર સંભાવનાઓ સર્જાઈ છે.શાહે વડાપ્રધાન દ્વારા રજૂ કરાયેલા “વિકસિત ભારત @2047”ના સંકલ્પનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આ સંકલ્પ આજે ૧૪૦ કરોડ ભારતીયોનો સંકલ્પ બની ગયો છે. અને ૧૫ ઓગસ્ટ ૨૦૪૭ ના રોજ ભારતને વિશ્વના સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડવામાં આજના યુવાનો મહત્વની ભૂમિકા ભજવશે. ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને અન્ય મહાનુભાવોના હસ્તે ચારૂસેટ યુનિવર્સિટીના ૨૭૯૪ છાત્રોને ડિગ્રી, ૪૨ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને ૩૮ વિદ્યાર્થીઓને ડોક્ટરેટ ડિગ્રી સહિત સુવર્ણ ચંદ્રકો એનાયત કરાયા હતા.દીક્ષાંત પ્રવચનમાં શાહે કહ્યું કે, યુવાનો ભલે પ્રાઇવેટ ક્ષેત્રમાં કાર્ય કરે, ઉત્પાદન ક્ષેત્ર સાથે જોડાય, સંશોધન કરે કે શિક્ષણ ક્ષેત્રમાં સેવા આપે, પરંતુ જે પણ માર્ગ પસંદ કરે તે માર્ગે દેશના વિકાસ માટે યોગદાન આપવાનો સંકલ્પ રાખવો જોઈએ. મહાન ભારતની રચના એવો ઉદ્દેશ છે કે દરેક ક્ષેત્રમાંથી તેની પૂર્તિ શક્ય છે.કેન્દ્રીય ગૃહ મંત્રીએ યુવાનોને જીવન માટે સાત મહત્વપૂર્ણ સૂત્રો આપતાં જણાવ્યું હતું કે જીવનમાં ક્યારેય નાનું સ્વપ્ન ન જોવું, સ્વપ્ન હંમેશા મોટું જ જોવું જોઈએ. નિષ્ફળતાનો ડર દૂર કરીને પુરુષાર્થ કરવાની હિમ્મત રાખવામાં આવે તો સફળતા નિશ્ચિત મળે છે.

તેમણે ટેકનિકલ શિક્ષણ પ્રાપ્ત કરનાર યુવાનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે ટેકનોલોજીનો ઉપયોગ માત્ર વ્યક્તિગત આવક માટે નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રના હિત માટે કેવી રીતે થઈ શકે તેનો સતત વિચાર કરવો જરૂરી છે.શાહે જણાવ્યું હતું કે શિક્ષણ ક્યારેય પૂર્ણ થતું નથી. જીવનના અંતિમ શ્વાસ સુધી શીખવાની ભાવના જાળવવી જોઈએ. પોતાની અંદરના વિદ્યાર્થીને ક્યારેય મરવા ન દેવા પર ભાર મૂકતાં તેમણે કહ્યું હતું કે જે લોકો સતત શીખતા રહે છે, તે જ જીવનમાં સાચી પ્રગતિ કરે છે.કેન્દ્રીય ગૃહ મંત્રીએ ટેકનોલોજી સાથે નૈતિકતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શોર્ટકટ ન અપનાવવાનો અને પોતાના જ્ઞાનનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવાનો સંકલ્પ દરેક યુવાને લેવો જોઈએ, તેમ તેમણે જણાવ્યું હતું.તેમણે સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપતાં જણાવ્યું હતું કે, ભારત આજે સ્ટાર્ટઅપ અને યુનિકોર્ન સ્ટાર્ટઅપની સંખ્યામાં વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ઉદ્યોગસાહસિકતા અને અન્ય લોકોને રોજગાર આપવાની ભાવના યુવાનોના સ્વભાવનો ભાગ બનવી જોઈએ. દેશથી ઉપર કશું નથી. જીવનમાં જે પણ કાર્ય કરવામાં આવે તે ૨૦૪૭ સુધીમાં ભારતને મહાન બનાવવાના ઉદ્દેશ સાથે કરવું જોઈએ અને આ વાત મનમાં ગાંઠ બાંધીને આગળ વધવું જોઈએ. માત્ર ડિગ્રીધારી નહીં પરંતુ જવાબદાર નાગરિક બનીને બહાર નીકળનાર યુવાનો જ 2047માં મહાન ભારતની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકશે.તેમણે છેલ્લા ૧૧ વર્ષમાં હાયર એજ્યુકેશન ક્ષેત્રે થયેલા માળખાગત પરિવર્તનોની માહિતી આપતાં જણાવ્યું હતું કે,૨૦૧૪ પહેલાં ૫૧ હજાર જેટલી હાયર એજ્યુકેશન સંસ્થાઓ હતી, જે આજે વધીને અંદાજે ૭૮ હજાર થઈ ગઈ છે. યુનિવર્સિટીઓ અને કોલેજોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. મેડિકલ શિક્ષણ ક્ષેત્રે પણ ક્રાંતિકારી વૃદ્ધિ થઈ છે. મેડિકલ કોલેજોની સંખ્યા ૩૮૭ થી વધીને ૮૧૮ થઈ છે, જ્યારે એમબીબીએસ અને પીજી સીટ્સમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ તમામ પ્રયાસો દૂરદર્શી આયોજનનું પરિણામ છે.

તેમણે ચરોતરની પવિત્ર ધરતીને ભારત માટે અનમોલ યોગદાન આપનાર ગણાવી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, ભાઈ કાકા અને વિદ્વાન એચ.એમ. પટેલ જેવા મહાન વ્યક્તિત્વોનું સ્મરણ કર્યું હતું, જેમણે દેશના રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. શાહે આણંદ જિલ્લામાં સ્થાપિત ડો. ત્રિભુવનદાસ પટેલ કો-ઓપરેટિવ યુનિવર્સિટીની ચર્ચા કરતાં જણાવ્યું હતું કે ત્રિભુવનદાસ પટેલે અમૂલના માધ્યમથી સહકારનું જે મોડેલ વિકસાવ્યું, તે આજે સમગ્ર વિશ્વ માટે પ્રેરણાસ્રોત બન્યું છે. અમૂલ આજે વિશ્વની નંબર એક સહકારી સંસ્થા તરીકે ઓળખાય છે.તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની ૨૦ લાખથી વધુ બહેનોના સહકારથી ઊભેલી અમૂલ જેવી સંસ્થાએ ૧૦૦ રૂપિયાથી ઓછી શેર મૂડી ધરાવતા ખેડૂત પરિવારોને એક લાખ કરોડ રૂપિયાના વ્યવસાય સાથે જોડ્યા છે, જે સહકારના વિચારની સફળતા દર્શાવે છે.

આ તકે અમિત શાહે આણંદ, અમૂલ અને ચરોતર સાથેના પોતાના સંસ્મરણો પણ વાગોળ્યા હતા.પદવીદાન સમારોહના પ્રારંભે ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલે સમારોહને ખુલ્લો મુકયો હતો. પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલે સંસ્થાનો પરિચય આપી સૌને આવકાર્યા હતા.

(સૈયદ અમજદ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









