ખોડીયાર માતાજી ના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ડભોઈ હીરાભાગોળ પાસે આવેલ રાણાવાસ ખાતે આજ રોજ ખોડીયાર માતાજી ની જન્મ જયંતીની ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ખોડીયાર માતાજીના પ્રાચીન મંદિર ખાતે આજરોજ સવારે અભિષેક કરવામાં આવ્યો હતો. જ્યારે આરતી સવારના આઠ વાગે માતાજીને કરવામાં આવી હતી. હજારો લોકો તેનો લાવો લેવા મંદિર પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સવારના વિશાળ શોભાયાત્રા મંદિરના ચોગાનમાં થી વાજતે ગાજતે ધૂમધડાકા સાથે નીકળી હતી. વિક્ટોરિયામા ખોડીયાર માતાજી ની છબી પધરાવી આ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.

વાજતે-ગાજતે ગાજતે નીકળેલ શોભાયાત્રા વકીલ ના બંગલા પાસેથી લાલ બજાર ટાવર પહોંચી હતી. આ શોભાયાત્રા ટાવર આવી પહોંચતા બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી. નગરના મુખ્ય માર્ગો પર આ શોભાયાત્રા ને જોવા માટે લોકટોળા ઉમટી પડયા હતા. શોભાયાત્રા પરત મંદિર ખાતે પહોંચી હતી. મંદિર પરિસરમાં બપોરના ધાર્મિક કાર્યક્રમો ભકતો દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સાંજના મહાઆરતી થઈ હતી. આ મહાઆરતીનો અમૂલ્ય લ્હાવો લેવા હજારો ભક્તો મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. મોડી સાંજે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી.

આજે ખોડિયાર માતાજી ની જન્મ જયંતી પ્રસંગે નગર તેમજ તાલુકામાં થી માઈ ભક્તો આ પ્રાચીન મંદિર ખાતે ઉમટી પડતા મંદિર ભક્તોથી ખીચોખીચ નજરે પડતું હતું. આ કળિયુગમાં તત્કાળ પરચો પૂરનારી મનવાંછિત ફળ આપનારી અને ભક્તોના સંકટ હરનારી આ માં રાજ રાજેશ્વરી આઈશ્રી ખોડીયાર માતાજી સમગ્ર વિશ્વમાં જાણીતી છે. અને તે ખૂબ જ દયાળુ માં છે. આજે મહા સુદ આઠમના રોજ ડભોઇ રાણા સમાજ દ્વારા મા ખોડીયાર માતાજીના મંદિરે જન્મ જયંતી નિમિત્તે માતાજીના મંદિરને ધજા પતાકાથી અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રાણા સમાજે ભારે જહેમત ઉઠાવી હતી. દિવસ દરમિયાન માઈ ભક્તોનો ઘસારો મંદિરે જોવા મળ્યો હતો આજરોજ રાણા સમાજ દ્વારા પોતાના ધંધા-રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા. ડભોઇમાં રાણા સમાજ દ્વારા શ્રદ્ધાભેર શોભાયાત્રા ઉત્સાહપૂર્વક નીકળી હતી. સમાજના લોકો ગામેગામથી આ અમૂલ્ય અવસરનો લ્હાવો લેવા માટે ઉમટી પડ્યા હતા. અને આ શોભા યાત્રામાં ઉમળકાભેર તેઓએ ભાગ લીધો હતો. આ નીકળેલ શોભાયાત્રા એ ગામમાં આગવું આકર્ષણ જમાવ્યું હતું. દિવસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા વાતાવરણ ભક્તિમય રંગમાં રંગાઈ ગયું હતું. ભારે શ્રદ્ધા સાથે ખોડિયાર માતાજી ની જન્મ જયંતી ની ઉજવણી સંપન્ન થઈ હતી.

ડભોઇ હીરાભાગોળ પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદિરેથી ભવ્ય વિશાળ શોભાયાત્રા નીકળી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.
તસવીર : બાલકૃષ્ણ શાહ –ડભોઇ










