જિલ્લા વહીવટીતંત્રની ત્વરિત કામગીરીથી ખેડૂતોને મળી મોટી રાહત મળી હતી.અંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં મામલતદાર અંકલેશ્વર, પોલીસ ઇન્સ્પેક્ટર અને બુલેટ ટ્રેનના અધિકારીઓની હાજરીમાં પ્રશ્નનો સુખદ ઉકેલ લાવવામાં આવ્યો હતો.ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પ્રજાલક્ષી પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સતત કાર્યશીલ છે. અંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરા ગામ ખાતે ચાલતા નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટની કામગીરીના કારણે સ્થાનિક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. ખેડૂતોની આ સમસ્યાને ધ્યાને રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિલંબ વિના પ્રશંસનીય અને ત્વરિત કામગીરી હાથ ઘરવામાં આવી હતી.

ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના ઝડપી અને યોગ્ય નિકાલ માટે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. મામલતદાર અંકલેશ્વર,પોલીસ ઇન્સ્પેક્ટર પાનોલી તથ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓની હાજરીમાં આ પાણીના નિકાલ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ સાથે સંકલન સાધીને પાણીના નિકાલ માટે જરૂરી તમામ ટેકનિકલ અને વહીવટી પગલાં લેવામાં આવ્યા છે,જેથી ખેડૂતોના પાકને થતું નુકસાન અટકાવી શકાય. ચોમાસાની આ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ વહીવટીતંત્ર દ્વારા દાખવવામાં આવેલી આ ત્વરિતતા અને સક્રિયતાના કારણે ઉંટીયાદરાના ખેડૂતો અને ગ્રામજનોમાં રાહતની લાગણી વ્યાપી ગઈ હતી.
ડિજિટલ યુગ ન્યૂઝ









