દહેજ થી આમોદ તરફ જતા માર્ગ પર ગોલાદરા ચોકડી પાસે ટેન્કર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું કમકમાટીભર્યુ મોત નિપજવા પામ્યું હતું.આજ રોજ વહેલી સવારે અંદાજે ૫.૩૦ વાગ્યાના આસપાસના અરસામાં બદલપુર ગામના વિનોદભાઈ વસાવા પોતાની બાઇક લઈને પર નોકરી પર જવા રવાના થયા હતા. દરમિયાન ગોલાદરા ચોકડી પાસે તેમની બાઈક સામેથી આવી રહેલ ટેન્કર સાથે ધડાકાભેર અથડાતા જોરદાર અકસ્માત સર્જાયો હતો.ભારે વાહન સાથે જોરદાર ટક્કર થતાં બાઇક ચાલક વિનોદ ભાઈ વસાવાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મોટી માત્રામાં લોહી વહી જતા તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.


અકસ્માત અંગે વાગરા પોલીસે પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે રવાના કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે દહેજથી આમોદ જવાના માર્ગ પર આવેલી ગોલાદરા ચોકડી છેલ્લા ઘણા સમયથી ગંભીર અકસ્માતો માટે કુખ્યાત બની રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સ્થળે રોડની હલકી ગુણવત્તા, જોખમી સ્થિતિ અને જરૂરી સલામતીના અભાવને કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે.અનેક અકસ્માતોમાં લોકોએ અહીં પોતાના જીવ ગુમાવ્યા હોવા છતાં તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.જેને પગલે માર્ગ મકાન વિભાગ વિરુદ્ધ લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.ઉક્ત દુર્ઘટનાએ ફરી એક વખત માર્ગની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક લોકો તંત્ર સમક્ષ લાંબા સમયથી આ સ્થળે રોડનું તાત્કાલિક સમારકામ, યોગ્ય સાઇનેજ,સ્પીડ કંટ્રોલના પગલાં અને અન્ય સલામતીની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે.

જો હવે પણ જવાબદાર વિભાગો દ્વારા સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવી વધુ દુર્ઘટનાઓ સર્જાવાની ભીતિ સ્થાનિકોને સતાવી રહી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા









