વાગરા તાલુકાના ખોજબલ ગામે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ વિસ્તારમાંથી એક શંકાસ્પદ હાલતમાં બિનવારસી લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયની લાગણી પ્રસરી જવા પામી છે.સાથે જ અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. લાશ મળવાની ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો.

પોલીસે સ્થળનું પંચનામું કરી લાશનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં મૃતકની ઓળખ મેળવવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતક પરપ્રાંતીય મજૂર હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.જોકે હજુ સુધી લાશ અંગે સત્તાવાર રીતે કોઈ ઓળખ થઈ શકી નથી. પોલીસે આસપાસના વિસ્તારોમાં સઘન પૂછપરછ હાથ ધરી મૃતકની ઓળખ મેળવવા કવાયત હાથ ધરી છે.

મૃતક અંગે કોઈ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે કે નહીં તે દિશામાં પણ તપાસ વેગીલી બનાવવામાં આવી રહી છે. મૃતકના મોતના સાચા કારણની કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ શકી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે. હાલ તો સમગ્ર મામલે વાગરા પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા









