વાગરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તારોમાં પર્યાવરણના કાયદાનો સરેઆમ ભંગ થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયખા અને વિલાયત GIDCના ઉદ્યોગકારો દ્વારા ભૂખી ખાડીમાં ઝેરી કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતા સેંકડો માછલાઓ સહિત અસંખ્ય જળચર જીવોના કરૂણ મોત થયા હોવાની વિગતો સાંપડી છે.

પ્રદૂષિત પાણી નજીકના કોઠીયા ગામના ખેતરોમાં ઘૂસી જતાં ખેડૂતો અસમંજસ મા મુકાયા હતા. કેમિકલ ખેતીની ફળદ્રુપતાને નષ્ટ કરવાનો ભય રહેલો છે. જેથી સ્થાનિક ખેડૂતો અને જાગૃત નાગરિકોમાં જળચર જીવો ના મોત ને પગલે ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. યુવા કોંગ્રેસના કાર્યકરે સ્થળ વિઝીટ કરી ભરૂચ જિલ્લાના વહીવટી તંત્રને આ બેદરકારી માટે સીધું જવાબદાર ઠેરવ્યું છે. તેમનો આક્ષેપ છે કે તંત્રની મિલીભગત અથવા નિષ્ક્રિયતાને કારણે જ ઉદ્યોગકારો બેફામ બન્યા છે. ભૂખી ખાડી વિલાયત થી ભેંસલી સુધી લગભગ પંદર કિલોમીટર ના વિસ્તારમાં પ્રદૂષિત થઈ ગઈ છે.

યુવા કોંગ્રેસ ના કાર્યકરે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો જવાબદાર કંપનીઓ સામે તાત્કાલિક અને સખત પગલાં ભરવામાં નહીં આવે તો ખેડૂતો અને નાગરિકો સાથે મળીને જનઆંદોલન કરશે.જરૂર પડ્યે કંપનીઓને તાળાબંધી કરવામાં પણ આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.
સદર ઘટના પર્યાવરણની સુરક્ષાના દાવાઓની પોકળતા છતી કરે છે. અને તંત્રની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કરે છે. શું પર્યાવરણના નિયમો માત્ર કાગળ પર જ છે? શું તંત્ર કોઈ મોટી પર્યાવરણીય દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? જેવા અનેક સવાલો હાલ તો નાગરિકોમાં ચર્ચાની એરણે ચઢયા છે.

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









