ભરૂચ જિલ્લામાં હોળી-ધૂળેટીના પર્વ ટાણે ‘ઝટપટ પાવડર’ અને કેમિકલયુક્ત રંગોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.ભરૂચ જિલ્લામાં પ્રતિવર્ષની માફક ચાલુ વર્ષે પણ તા.૩ અને ૪ નાં રોજ હોળી-ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવનાર છે. હોળી-ધૂળેટીના દિવસે એકબીજા પર અબીલ, ગુલાલ નાંખી સુંદર પર્વ ઉત્સાહથી ઉજવાય છે.નોંધપાત્ર છે કે ધૂળેટીના દિવસે અમુક લોકો દ્વારા ઝટપટ પાવડર જેવા કેમિકલ્સનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. ઝટપટ પાવડરમાં સમાવિષ્ટ ઝેરી કેમિકલ્સ તથા અન્ય કેમિકલ્સથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે,તેમજ જાહેર રસ્તાઓ પર ધૂળેટીનો પર્વ ઉજવવાથી ટ્રાફિકને પણ અડચણ થાય છે. આ ઉપરાંત કેટલાક લોકો દ્વારા બળજબરી પૂર્વક રંગ તથા કીચડ છાંટવામાં આવે છે, જેના કારણે સુલેહ-શાંતિનો ભંગ થવાની સંભાવના રહે છે. જાહેર રસ્તા ઉપર અવર-જવર કરતા વાહન ચાલકો પાસેથી ખોટી રીતે પૈસા ઉઘરાવવામાં આવતા હોય જેના પર પણ પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.જેથી પાર્થ જયસ્વાલ, ઇ. ચા. અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ,૧૯૫ અંતર્ગત જાહેરનામું બહાર પાડી કેમિકલ યુક્ત કલરો ના વપરાશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે.હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. તેમ ઈ. ચા. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્નારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.









