ભરૂચની “સુજની વણાટ”કલા સુરત ખાતે આયોજિત રિજનલ કોન્ફરન્સમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. સુરત ખાતે આયોજિત ‘વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત વિવિધ હસ્તકલા અને ઉદ્યોગોના પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના હસ્તકલા વારસાને ઉજાગર કરવાના ભાગરૂપે ભરૂચની લુપ્ત થતી ‘સુજની’ કળાના પ્રદર્શનને વિશેષ સ્થાન મળ્યું છે. આ અવસરે સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા મંચની સરાહના કરતા કારીગર મોહમ્મદ મુઝક્કીર સુજનીવાલાએ જણાવ્યું હતું કે, સરકારના સતત સહયોગથી જ આ કળાને નવજીવન મળ્યું છે.ભરૂચના રહેવાસી મોહમ્મદ મુઝક્કીર સુજનીવાલા વર્ષોથી ભરૂચની આગવી ઓળખ સમાન ‘સુજની વણાટ’ કલા સાથે જોડાયેલા છે. મીડિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, “અમે ભરૂચની એ ઐતિહાસિક અને પરંપરાગત સુજની વણાટનું કામ કરીએ છીએ, જે આજે કાળક્રમે લુપ્ત થતી જતી કળા ગણાય છે. આ લુપ્ત થતી કલાને જીવંત રાખવા બદલ વર્ષ ૨૦૨૧ માં ‘હાથશાળ-હસ્તકલા રાજ્ય એવોર્ડ’ માટે શ્રેષ્ઠ કારીગર તરીકે અમારી પસંદગી કરવામાં આવી હતી, જ્યાં ગુજરાત સરકાર દ્વારા અમને સન્માનિત કરાયા હતા.લુપ્ત થતી કળાઓને બચાવવા માટે સરકાર દ્વારા સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત જેવા પ્લેટફોર્મ અને બિઝનેસ ટુ બિઝનેસ માધ્યમથી આ હસ્તકલાને નવા બજારો અને અનેક નવા ગ્રાહકો મળી રહ્યા છે, જે કારીગરો માટે આશાનું કિરણ છે. અમને સરકાર દ્વારા વિવિધ એક્ઝિબિશન અને મંચ પ્રદાન કરવામાં આવે છે. આ કળાના સંરક્ષણ અને કારીગરોના ઉત્થાન માટે તેમણે ‘રેવા સુજની’ નામની કો-ઓપરેટિવ સોસાયટીની સ્થાપના કરી છે, જેના માધ્યમથી તેઓ આ કલાને જન-જન સુધી પહોંચાડી રહ્યા છે, અને આ જ માધ્યમથી તેઓ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના મંચ સુધી પહોંચ્યા છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755








