આણંદ ખાતે “પોષણ ઉડાન” કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કિશોરીઓને મહિલા સશક્તિકરણ અને પોષણયુક્ત આહાર અંગે જાગૃત કરાઈ હતી.મહિલા અને બાળ વિકાસ વિભાગ, વડોદરા ઝોન તથા આઈ.સી.ડી.એસ. શાખા,જિલ્લા પંચાયત આણંદના સંયુક્ત ઉપક્રમે આણંદના ધીરજલાલ જે. શાહ ટાઉનહોલ ખાતે રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલની અધ્યક્ષતામા ‘પૂર્ણા યોજના’ અંતર્ગત “પોષણ ઉડાન-૨૦૨૬ સપનાની પાંખ” કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં મંત્રી કમલેશભાઈ પટેલે નારી શક્તિનો મહિમા વર્ણવ્યો હતો.તેમણે ઐતિહાસિક પાત્રો જીજાબાઈ અને રાણી લક્ષ્મીબાઈના ઉદાહરણો ટાંકીને સમજાવ્યું હતું કે ભારતની નારીઓએ નાની ઉંમરે પણ અદભૂત શૌર્ય અને સંસ્કારોનું સિંચન કર્યું હતું.તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર”ના સંકલ્પને સાકાર કરવા માટે કિશોરીઓનું શારીરિક અને માનસિક રીતે મજબૂત હોવું અત્યંત અનિવાર્ય હોવાનું જણાવી પીઝા, બર્ગર અને ચાઈનીઝ જેવા મેદાના ખોરાકને બદલે મિલેટ્સ જેવા કે બાજરી, જુવાર, રાગી અને કુલેલ જેવા પૌષ્ટિક આહાર અપનાવવા અનુરોધ કર્યો હતો. સીઝનેબલ ફળો અને શાકભાજી ખાવા પર ભાર મૂક્યો હતો. જો આપણો ખોરાક સાત્વિક અને પોષણક્ષમ હશે, તો જ હિમોગ્લોબીન જેવી ખામીઓ દૂર થશે અને આપણે રોગમુક્ત રહી શકીશું. ખોરાક બદલાશે તો જ આપણી તંદુરસ્તી અને ઉર્જા જળવાઈ રહેશે તેમ તેઓએ વધુમાં ઉમેર્યું હતું.

અંતમાં તેમણે કિશોરીઓને આહવાન કર્યું હતું કે જો તમારે આઈ.પી.એસ. અધિકારી કે સૈનિક બની કે કોઈપણ રીતે દેશની રક્ષા કરવી હોય, તો મક્કમ મનોબળ અને તંદુરસ્ત શરીર ખૂબ જરૂરી છે. ‘પહેલું સુખ તે જાતે નર્યા’ની ઉક્તિ મુજબ, જો આપણું શરીર સ્વસ્થ હશે તો જ આપણે આપણા સપનાઓને સાકાર કરી શકીશું. ઉત્તરાયણ જેવા પર્વો પર સૂર્યની ઉપાસના કરવા, વડીલોના આશીર્વાદ લેવા અને વ્યસનમુક્ત તથા કુદરતી ખોરાક આધારિત જીવનશૈલી અપનાવવા તેમણે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,બાજરી અને જુવાર જેવા પૌષ્ટિક આહારથી વડીલો દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન જીવતા હતા. આજના યુગમાં જંક ફૂડને કારણે યુવાનોમાં કેન્સર અને હાર્ટ એટેક જેવી બીમારીઓ વધી રહી છે, તેથી પૌષ્ટિક આહાર અપનાવવો અનિવાર્ય હોવાનું જણાવી તેમણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુપોષિત દીકરીઓના પોષણ માટે કરવામાં આવતી કામગીરીને પણ બિરદાવી હતી.સાંસદે ઉપસ્થિત દીકરીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમના સપનાઓ વિશે જાણી દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી.આ તબક્કે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલે સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી.તેમણે દીકરીઓના બાળપણથી લઈને માતા બનવા સુધીના તમામ તબક્કે પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે,તેમ જણાવ્યું હતું. ખાસ કરીને કુપોષણ જેવી ગંભીર સમસ્યાને નાબૂદ કરી શકાય તે માટે ગ્રામીણ સ્તરે આંગણવાડીની બહેનો દ્વારા પૂર્ણાશક્તિ અને માતૃશક્તિ જેવી યોજનાઓ છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડવામાં આવી રહી છે. તેઓએ જિલ્લાની આંગણવાડીઓમાં શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ‘વોટર પ્યુરિફાયર’ અને બાળકોને ગરમીમાં રાહત મળે તે માટે ‘સીલિંગ ફેન’ની સુવિધા પુરી પાડવામાં આવી છે તેમ જણાવ્યું હતું. ઉપરાંત, વડતાલ સ્વામિનારાયણ મંદિર અને BAPS જેવી ધાર્મિક સંસ્થાઓ સાથે મળીને કુપોષિત બાળકોને ચણા, ખજૂર, સુખડી અને ચીકી જેવો પૌષ્ટિક આહાર પૂરો પાડવા માટેના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા હોવાનું વધુમાં તેમણે ઉમેર્યું હતું.અંતમાં તેમણે ઉત્તરાયણના પર્વના સંદર્ભમાં ‘ઉડાન’ શબ્દને સાર્થક કરતા આશા વ્યક્ત કરી હતી કે દીકરીઓ પોષણક્ષમ આહાર લઈને તંદુરસ્ત બને અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે અને નીતનવી સફળતાની ઉડાન ભરે. તેમણે તમામ તરુણીઓને પૌષ્ટિક આહારનો લાભ લઈ સક્ષમ બનવા અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવા અપીલ કરી હતી.કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ પતંગ ડિઝાઇન સ્પર્ધા, લીંબુ ચમચી, સંગીત ખુરશી અને કોથળા દોડ જેવી વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલ કિશોરીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, વિભાગીય નાયબ નિયામક દિશાબેન ડોડીયા, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન નીતાબેન સોલંકી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાબેન સિંધા, પ્રોગ્રામ ઓફિસર તેજલબેન તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો અને લાભાર્થી કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









