બે કેબિનને નુકસાન, જર્જરિત બસ સ્ટેન્ડનું નવીનીકરણ ન થતા તંત્રની બેદરકારી પર સવાલો!

ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતાં દોડધામ, બે નાસ્તાની કેબિનને નુકસાન.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઈલાવ ગામે બસ સ્ટેન્ડ નજીક એક મોટી ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગામના બસ સ્ટેન્ડમાં આવેલું એક વિશાળ અને જૂનું વૃક્ષ ભારે પવનના કારણે અચાનક ધરાશાયી થઈ ગયું હતું. જોકે સદનસીબે આ ઘટના સમયે બસ સ્ટેન્ડમાં કે તેની આસપાસ કોઈ મુસાફરો કે ગ્રામજનો હાજર ન હોવાથી કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. જોકે વૃક્ષ ધરાશાયી બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી બે નાસ્તાની કેબિનો પર પડ્યું હતું. જેના કારણે બંને કેબિનોને ભારે નુકસાન થયું છે. આ ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક લોકો અને વહીવટી તંત્રના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

જર્જરિત બસ સ્ટેન્ડ અને નિગમની બેદરકારી પર સવાલો
આ ઘટનાએ ઈલાવ ગામના બસ સ્ટેન્ડની દયનીય હાલત અને તંત્રની બેદરકારીને ફરી એકવાર ઉજાગર કરી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ બસ સ્ટેન્ડ વર્ષો જૂનું છે. અને તેની હાલત અત્યંત જર્જરિત થઈ ગઈ છે. આ બસ સ્ટેન્ડના નવીનીકરણ માટે ગ્રામજનો દ્વારા એસટી નિગમમાં અનેક વાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો આજે આ ઘટના બની ત્યારે ત્યાં લોકો હાજર હોત તો મોટી જાનહાનિ થવાનો ખતરો હતો. આ પરિસ્થિતિ સ્પષ્ટ દર્શાવે છે કે તંત્ર ગ્રામજનોની સુરક્ષા પ્રત્યે કેટલું ઉદાસીન છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









