આજે સમગ્ર દેશ 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે વાગરાના અસમા પાર્ક-3 સ્થિત આવેલ જુંજેરા વિદ્યાલયમાં પણ આ રાષ્ટ્રીય પર્વની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જાણીતા ડો.મુબિન પટેલએ ઉપસ્થિત રહીને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

તેમના હસ્તે થયેલા ધ્વજારોહણ બાદ તરત જ રાષ્ટ્રગાન ગુંજી ઉઠ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિની ભાવનાથી તરબોળ થઈ ગયું હતું.આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌના દિલ જીતી લીધા. બાળકોએ સુંદર ગીતો ગાયા, નાટકો ભજવ્યા, અને વક્તવ્ય દ્વારા સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કર્યા. આ પ્રસ્તુતિઓએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા અને દરેકના મનમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ દૃઢ બનાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના ટ્રસ્ટીના માર્ગદર્શન હેઠળ આચાર્ય હિતેશ કુમારે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી. આ ઉજવણીએ માત્ર વિદ્યાર્થીઓમાં જ નહીં પરંતુ ઉપસ્થિત નાગરિકોમાં પણ રાષ્ટ્રીય ગૌરવ અને એકતાનો સંદેશો પહોંચાડ્યો હતો. જુંજેરા વિદ્યાલય દ્વારા કરવામાં આવેલી આ ઉજવણીએ સાબિત કર્યું કે ભવિષ્યની પેઢીમાં દેશપ્રેમ અને સંસ્કૃતિનું સિંચન કરવું કેટલું મહત્ત્વનું છે.

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









