“હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતા : સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ” અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિના જુસ્સા અને તિરંગાના માન-સન્માન સાથે યોજાઈ હતી.જેમાં અંદાજિત ૨૭૦૦ થી વધુ ભરૂચવાસીઓ એ ઉમંગભેર જોડાયા હતા.હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ત્યારે ભરૂચ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લાવાસીઓએ અનેરો જુસ્સો બતાવ્યો હતો.જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અને નિવાસી અધિક કલેક્ટર સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાને રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું.

ભરૂચ જિલ્લાવાસીઓ એ અદભૂત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી. યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી રેલવે સ્ટેશન ખાતે સંપન્ન થઈ હતી.તિરંગા યાત્રામાં જિલ્લાના આર્મ્ડ ફોર્સના જવાનો, જીઆરડી જવાનો, જિલ્લાના અગ્રગણ્ય નાગરિકો, વિદ્યાર્થીઓ ઉપરાંત, એનસીસી કેડેટ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.તિરંગા યાત્રામાં પોલીસ અશ્વદળ, વિવિધ પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ, ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ બેન્ડ તિરંગા સાથે સામેલ થયા હતા. પોલીસના અશ્વદળે તિરંગા યાત્રાની આગેવાની કરી હતી. મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને નગરજનો હાથમાં તિરંગો લઈને જોમ જુસ્સાથી જોડાયા હતા. ‘સબ સે પ્યારા તિરંગા હમારા’ની ભાવના વ્યક્ત કરી સૌ ઉપસ્થિતોએ ગર્વભેર તિરંગો લહેરાવી, ‘વંદે માતરમ્’, ‘ભારત માતા કી જય’ સહિત દેશભક્તિના નારા લગાવ્યા હતા.

સાથે સ્વાતંત્ર્ય વીરો અને દેશના શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.શાળાના બાળકો દેશભક્તિને અનુરૂપ વેશભૂષામાં યાત્રામાં જોડાયા હતા. યાત્રાને નિરખવા ભરૂચના માર્ગો પર લોકોના ટોળા ઉમટ્યા હતા. યાત્રાના રૂટમાં ફુલોની પાંખડીઓ દ્વારા અભિવાદન કર્યું હતું.

સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









