હાઇવે ઓથોરોટી દ્વારા જંબુસર તરફ નું સ્ટેન્ડ તોડી પડાતા વિદ્યાર્થીઓ સહિત મુસાફરો ને ભારે હાલાકી…

ભરૂચ-જંબુસર માર્ગ પર આવેલ દયાદરા ખાતે મુખ્ય માર્ગ ની બંને તરફ ઉભા કરાયેલ કાચા પાકા દબાણો દૂર કરી તંત્ર દ્વારા મુખ્ય માર્ગ ની બંને તરફ મેદાન સાફ કરી નાંખવામાં આવ્યું હતું.તેની સાથે મુસાફરો ની સુવિધા માટે વર્ષો અગાઉ બનાવાયેલ જંબુસર તરફ નું પિકપ સ્ટેન્ડ પણ હાઇવે ઓથોરિટી એ ભોંયભેગુ કરી દીધું હતું.જેને કારણે કેલોદ સમની,આમોદ અને જંબુસર તરફ અવર-જવર કરતા છાત્રો સહિત મુસાફરો ને બસ ની રાહ જોવા માટે ક્યાં ઉભા રહેવું તે એક મોટો યક્ષ પ્રશ્ન ઉભો થયો છે.ઠંડી,વરસાદ તેમજ તડકા થી મુસાફરો ને સુરક્ષા ની સાથે સગવડ પ્રદાન કરનાર પિકપ સ્ટેન્ડ તોડી પાડનાર હાઇવે ઓથોરિટી સામે ગ્રામજનો સહિત મુસાફરો માં ઉગ્ર આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે.પાપડી ભેગી ઈયળ બફાઈ ગઈ હોય તેમ ઓથોરિટી એ પિકપ સ્ટેન્ડ ને જમીનદોસ્ત કરી નાખ્યું હતું.જેને પગલે આ પિકપ સ્ટેન્ડ ને હાઇવે ઓથોરોટી દ્વારા પુનઃ સ્થાપિત કરવા માં આવે તેવી માંગ દયાદરા ગામ સહિત પંથકના જાગૃત નાગરિકો માંથી બુલંદ થવા પામી છે.

આ બાબતે નેશનલ હાઇવે ઓથોરિટી ભરૂચના એક્ઝિક્યુટિવ એન્જીનીયર ભરત પટેલ નો સંપર્ક સાધી પૃચ્છા કરતા તેઓ એ અમોને ખબર ન હતી કે આ બસ સ્ટેન્ડ છે.અમારા થી ભૂલ માં તૂટી ગયું છે.આ અંગે એસડીએમ નું ધ્યાન દોરવામાં આવશે તેમ જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે દુકાનો ખસેડવા માટે સંબંધિત તંત્ર દ્વારા અગાઉ કાયદેસર ની ત્રણ નોટિસો પાઠવી દુકાનો દૂર કરવા જાણ કરવામાં આવી હતી.નોટિસમાં ૭ જાન્યુઆરી નું અલ્ટીમેટમ આપી દુકાનો દૂર કરવા તાકીદ પણ કરાઈ હતી.હાલ તો દુકાનો નો સફાયો થતા નાનો મોટો ધંધો કરી પેટિયું રળતા લોકો માટે રોજી રોટી નો પ્રશ્ન પેચીદો બની જવા પામ્યો છે.
એહવાલ:- સૈયદ અમજદ(બાપુ)









