વાગરા તાલુકાના દહેજ ખાતે અગરિયા પરિવારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવા કાર્યક્રમ યોજાયો હતો.ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મતદાનની ટકાવારી વધારવાના હેતુથી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ ખાતે વિશેષ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મીઠાના ઉદ્યોગમાં રોકાયેલા શ્રમિકો એટલે કે અગરિયાઓ લોકશાહીના આ પર્વમાં સહભાગી થાય તે માટે તંત્ર દ્વારા તેમના રહેઠાણોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન શ્રમિકો અને તેમના પરિવારજનોને મતદાનનું મહત્વ સમજાવી, આગામી તારીખ ૨૬મી એપ્રિલ ના રોજ અચૂક મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પણિયાદરાના ગ્રામજનોએ લીધા સો ટકા મતદાનના શપથ

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તેવા ઉમદા આશય સાથે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સ્વીપ’ (SVEEP) પ્રવૃત્તિઓને છેવાડાના ગામો સુધી પહોંચાડવામાં આવી રહી છે. જે અંતર્ગત વાગરા તાલુકાના પણિયાદરા ગામે મતદાન જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના પ્રતિનિધિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોને આગામી તારીખ ૨૬ એપ્રિલના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા વિશે ટેકનિકલ અને વ્યવહારુ સમજ આપવામાં આવી હતી.પણિયાદરા ગામના ચોકમાં મોટી સંખ્યામાં એકત્ર થયેલા ગ્રામજનોએ સમગ્ર ગામ ઉત્સાહપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયામાં સહભાગી બને તે માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. ગ્રામજનોએ ‘મારો મત, મારો અધિકાર’ના નાદ સાથે લોકશાહીના આ મહોત્સવમાં ૧૦૦ ટકા યોગદાન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના પ્રતિનિધિ દ્વારા યુવા મતદારો અને પ્રથમ વખત મતદાન કરનાર નવયુવાનોને લોકશાહીના પ્રહરી બની અન્યોને પણ જાગૃત કરવા પ્રેરણા આપી હતી. ગ્રામ્ય સ્તરે યોજાયેલા આ કાર્યક્રમથી સ્થાનિક સ્તરે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









