વિલાયત ની બિરલા ગ્રાસિમ કંપનીના પાર્કિંગમાં કારની પાછળની સીટમાં બેભાન અવસ્થામાં મળી આવેલા યુવકનું મોત થી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.વાગરા તાલુકાની વિલાયત જી.આઈ.ડી.સી.માં આવેલ આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના કેમિકલ ડિવિઝનમાં કામ કરતા એક કર્મચારી નું મોત થયા ની માહિતી સાંપડી છે.

ઘટના સંદર્ભે વાગરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસ સૂત્રો થકી મળેલ માહિતી મુજબ જંબુસર તાલુકાના ડોલીયા ગામના રહિશ પિયુષકુમાર ગંભીરભાઈ મકવાણા ઉંમર વર્ષ ૪૩ જેઓ બિરલા ગ્રાસીમ કંપનીના કેમિકલ વિભાગમાં લેબમાં ફરજ બજાવતા હતા.ગત તારીખ ૧૨ ફેબ્રુના રોજ બપોરના સુમારે કંપનીના પાર્કિંગમાં પોતાની ગાડીની પાછળની સીટમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.ઘટનાની જાણ થતા જ કંપનીના ફાયરમેન અને સિક્યુરિટી ગાર્ડ તાત્કાલિક તેમને સ્ટ્રેચર દ્વારા કંપનીના પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે લઈ ગયા હતા.

ત્યાંથી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ મામલે રઘુસિંહ ભગવાનસિંહ મકવાણાએ વાગરા પોલીસને જાણ કરતા પોલીસે BNSS કલમ- ૧૯૪ મુજબ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. વાગરા પોલીસ આ ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.ગ્રાસીમ કંપનીના કર્મચારી નું રહસ્યમય સંજોગોમાં મોત થતા તરેહ તરેહ ની વાતો ચર્ચાઈ રહી છે.કેટલાક લોકોના જણાવ્યા અનુસાર સદર કર્મી નું હાર્ટ એટેક થી મૃત્યુ થયું થયું છે.જ્યારે અન્ય લોકો જુદા જુદા કારણો મોત માટે જવાબદાર હોવાની ચર્ચાઓ થઈ રહી છે.









