આખરી પયગંબર હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ના જન્મદિવસ ઇદે મિલાદુન્નનબી વાગરામાં ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે વહેલી સવારથી જ વરસાદી માહોલ હોવાથી જુમ્મા મસ્જિદ ખાતેથી નીકળતા ઝુલૂસનો સમય બદલીને જુમ્માની નમાઝ બાદ કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં સવારમાં પણ નાનાં ઝુલૂસ જોવા મળ્યા હતા.બપોર બાદ જુમ્મા મસ્જિદથી એક ભવ્ય ઝુલૂસનું પ્રસ્થાન થયું હતું. આ ઝુલૂસ પટેલ ખડકી, ચીમન ચોક, મેઈન બજાર, ડેપો સર્કલ થઈને પરત જુમ્મા મસ્જિદ ખાતે પહોંચ્યું હતું.

આ ઝુલૂસમાં બાળકોથી લઈને વડીલો સુધી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. સૌએ ધાર્મિક લિબાસ પહેરી હાથમાં ધાર્મિક ઝંડાઓ પકડ્યા હતા. ઝુલૂસ દરમિયાન શ્રદ્ધાળુઓએ ધાર્મિક નારાઓ લગાવ્યા અને નાત શરીફનું પઠન કર્યું હતું. જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વરસાદી વિઘ્નો છતાં લોકોનો ઉત્સાહ જરાય ઓછો થયો ન હોતો.

ભરૂચ જિલ્લાભરમાં પણ ઇદે મિલાદની શાનદાર ઉજવણી થઈ હતી. આ પ્રસંગે વાગરામાં ઠેર-ઠેર શરબત, દૂધ, કોલ્ડ્રિંક્સ, કેક અને ચોકલેટ સહિતની નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઝુલૂસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વાગરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

આ ઉપરાંત, વાગરાની જુમ્મા મસ્જિદ અને અલ મદીના મસ્જિદ સહિત વિવિધ સ્થળોએ પાક મુએ મુબારકની જિયારત પણ કરાવવામાં આવી હતી. આમ વરસાદી માહોલ હોવા છતાં વાગરામાં ઇદે મિલાદના પર્વની ઉજવણીએ ભાઈચારા અને કોમી એખલાસનો અનોખો સંદેશો આપ્યો હતો. વાગરાના વાંટા હોલ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા દાવતે આમ નિયાજનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈ-બહેનો ઉમટી પડ્યા હતા. આયોજકો દ્વારા સૌને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. જેનો ઉપસ્થિત રહેલા તમામ લોકોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો. આ પ્રસંગે ભાઈચારા અને કોમી એખલાસનો સુંદર માહોલ જોવા મળ્યો હતો.
જ્યાં સૌએ એકસાથે બેસીને ભોજન ગ્રહણ કર્યું અને ધાર્મિક લાગણીઓને વ્યક્ત કરી હતી. આ આયોજન સમાજમાં એકતા અને સદ્ભાવનાને વધુ મજબૂત બનાવનારો પૂરવાર થયો.
ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









