પોલીસ દ્વારા કોસ્ટલ સિક્યુરીટીને સઘન બનાવવાના ભાગરૂપે માછીમારો અને પોલીસ વચ્ચે સુમેળભર્યા સબંધો કેળવાય સાથેજ દરિયાઈ સુરક્ષા કવચને મજબુત કરવા માટે માછીમારોમાં જાગૃતતા લાવવાના ખાસ હેતુસર આજરોજ બાલાપોર ખાતે બેટ પોલીસ ઇન્સપેક્ટર કિરણ પટેલની અધ્યક્ષતામાં ફિશરમેન અવેરનેશ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેટ પી.આઈ કિરણ પટેલે માછીમારોને જણાવ્યું હતું, કે માછીમારી દરમિયાન કોઈપણ શંકાસ્પદ ચીજવસ્તુ કે ઈસમ મળી આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી તેમજ માછીમારી માટે બનેલા નીતિ નિયમો અનુસાર માછીમારી કરવા સૂચના આપી હતી.

કાંઠાની સુરક્ષા માટે માછીમારોની જાગૃતતા મહત્વપૂર્ણ : – દરિયાઈ સુરક્ષા માટે માછીમારોનું જાગૃત હોવુ એ મહત્વપુર્ણ હોવાનું બેટ પી.આઇ કિરણ પટેલે જણાવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ સમુદ્રમાં જતા માછીમારો પાસે કાયદેસરના દસ્તાવેજ, ઓનલાઇન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ અને જીવનરક્ષક સાધનો વિશે તેમને સમજણ આપવાનો હતો. આ સિવાય માછીમારોને ચોમાસા અને વાવાઝોડા સંબંધિત સંકેતો વિશે પણ માહિતી આપી હતી. આ ઉપરાંત તેમને લાઇફ જેક્ટ પહેરવા, CPR (કાર્ડિયો પલ્મોનરી રેસ્યુસિટેશન) અને લાઇફબોટનો યોગ્ય ઉપયોગનું વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માછીમારોને સચેત રહી દરિયામાં કોઇ પણ શંકાસ્પદ હિલચાલ થાય, આંતકવાદી પ્રવૃતિ કે ઈમરજન્સી સમયે કોસ્ટલ સિક્યુરીટીને જાણ કરવા જણાવ્યું હતું. તેમણે ઈન્ટરનેશનલ લાઈન ક્રોશ ન કરવા, દેશનો ધ્વજ બોટ પર ફરકાવવા, જીપીએસ સિસ્ટમ હંમેશા ચાલુ રાખવા પણ આહવાન કર્યું હતું.

સદ્દામ બી. ભટ્ટી, ભરુચ (વાગરા)









