કડોદરા નજીક આવેલ સુપરફોર્મ કંપની સામે ખેડૂતોનો ઉગ્ર આક્રોશ ફાટી છે.સ્થાનિક બેરોજગારી મુદ્દે કંપની ગેટ પર ગ્રામજનોએ ઉહાપોહ મચાવ્યો હતો.વધુમાં સુપરફોર્મ કંપની સામે ખેતરમાં પાણી ભરાતા પાંચ વર્ષથી ખેતી મુશ્કેલ બનતા જગતનો તાત વિસામણ મા મુકાઈ જવા પામ્યો છે.વાગરા તાલુકા ના કડોદરા ગામ નજીક આવેલી સુપરફોર્મ (UPL) કંપની સામે આસપાસના ખેડૂતો અને સ્થાનિક યુવાનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા આશરે પાંચ વર્ષથી કંપની તરફથી નીકળતા પાણીના કારણે તેમના ખેતરોમાં પાણી ભરાઈ રહે છે, જેના પરિણામે ખેતીકામ અને જમીન ખેડવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.ખેડૂતના જણાવ્યા મુજબ, આ સમસ્યા અંગે કંપનીના જવાબદાર અધિકારીઓને અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. કંપની સાથે આ મુદ્દે બેઠકો પણ યોજાઈ હોવાનું ખેડૂતે જણાવ્યું છે. તેમ છતાં આજદિન સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. આ ઉપરાંત સંબંધિત સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતી હોવાનો ખેડૂતનો આક્ષેપ છે.ખેડૂતે જણાવ્યું હતું કે, જો આ સમસ્યાનું વહેલી તકે કાયમી નિરાકરણ નહીં આવે તો તેઓ પોતાના પરિવાર સાથે સુપરફોર્મ કંપનીના ગેટ સામે અચોક્કસ મુદતના ધરણા પર બેસવા મજબૂર થશે.

સાથે જ તેમણે જણાવ્યું હતું કે ધરણા દરમિયાન તેમને અથવા તેમના પરિવારના કોઈ સભ્યને કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી કંપની અને સંબંધિત જવાબદાર તંત્રની રહેશે.ઉલ્લેખનીય છે કે સ્થાનિક યુવાનોમાં રોજગારી મુદ્દે પણ કંપની સામે નારાજગી જોવા મળી રહી છે. આસપાસના ગામોના યુવાનો દ્વારા કંપનીમાં સ્થાનિક રોજગારી અને એપ્રેન્ટિસશિપને લઈને પણ અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહયો છે. સ્થાનિક યુવાનોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આસપાસના ગામોના લોકોને કંપનીમાં નોકરીની તકો પૂરતા પ્રમાણમાં આપવામાં આવતી નથી. એપ્રેન્ટિસશિપમાં પણ સ્થાનિક યુવાનોને તક ન મળતી હોવાનો તેમનો આક્ષેપ છે.

સ્થાનિક યુવાનોએ કંપનીના IR વિભાગના વડા મીનાકરાજ ની કામગીરી અંગે પણ આક્ષેપો કર્યા હતા અને સ્થાનિકોને રોજગારીની તક આપવામાં ભેદભાવ થતો હોવાનો દાવો કર્યો હતો. જોકે, આ આક્ષેપો અંગે કંપની તરફથી સત્તાવાર સ્પષ્ટતા પ્રાપ્ત થઈ નથી.રોજગારીનો પ્રશ્ન ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહયા છે.ત્યારે યુવાનોનું કહેવું છે કે કંપની આસપાસના ગામોમાંથી જમીન, પાણી અને અન્ય સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરતી હોય ત્યારે સ્થાનિક લોકોને રોજગારી અને એપ્રેન્ટિસશિપમાં યોગ્ય તક મળવી જોઈએ. જો આવનારા દિવસોમાં કંપની દ્વારા સ્થાનિક યુવાનોને નોકરી તથા એપ્રેન્ટિસશિપમાં યોગ્ય તક આપવામાં નહીં આવે તો આસપાસના ગામોના લોકો એકત્ર થઈ કંપનીના ગેટ સામે ધરણા-પ્રદર્શન કરશે તેવી ચીમકી પણ સ્થાનિક યુવાનોએ આપી છે.હવે ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલી પાણીની સમસ્યા અને સ્થાનિક યુવાનોની રોજગારીની માંગ બંને મુદ્દે કંપની તેમજ સંબંધિત સરકારી તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. ખેડૂતો અને સ્થાનિકો દ્વારા આ બંને મુદ્દે તાત્કાલિક તપાસ કરી યોગ્ય અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા -દહેજ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









