વાગરા નગર ખાતે ઊંડા તળાવ નજીક નવનિર્મિત આંગણવાડીની કમ્પાઉન્ડ વોલના અભાવે દુર્ઘટનાની બબવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વાગરા ખાતે દશામાં મંદિર નજીક નાના ભૂલકાઓ માટે નવું આંગણવાડી મકાન બનાવવામાં આવ્યું છે. પરંતુ આંગણવાડીની બિલકુલ બાજુમાં જ આવેલું ઊંડું અને વિશાળ તળાવ હાલ ચિંતાનો વિષય બન્યું છે. આંગણવાડીની પાછળ માત્ર થોડા જ અંતરે પાણીથી ભરેલું ઊંડું તળાવ હોવા છતાં તેની આસપાસ સુરક્ષા માટે કમ્પાઉન્ડ વોલ કે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી.આ આંગણવાડીમાં આસપાસના તેમજ ગરીબ પરિવારોના નાના ભૂલકાઓ અભ્યાસ અને પોષણલક્ષી પ્રવૃત્તિઓ માટે આવે છે. બાળકો રમતા-રમતા કે મોજમસ્તીમાં આંગણવાડીની બહાર નીકળી જાય અને તળાવ તરફ પહોંચી જાય તો ગંભીર દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નથી.આંગણવાડીમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે પણ આ સ્થિતિ ચિંતાજનક છે. એક તરફ નાના બાળકોની દેખરેખની જવાબદારી અને બીજી તરફ આંગણવાડીથી નજીક જ આવેલું ઊંડું તળાવ આ પરિસ્થિતિમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી કોની રહેશે, તેવો સવાલ ઉઠી રહ્યો છે.

સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે કોઈ બાળક તળાવમાં પડીને જાન ગુમાવે તે પહેલાં તંત્ર જાગશે કે પછી દુર્ઘટના બન્યા બાદ કમ્પાઉન્ડ વોલ બનાવવાની કાર્યવાહી થશે?જવાબદાર અધિકારીઓ સ્થળની તાત્કાલિક મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરે અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આંગણવાડીની આસપાસ વહેલી તકે મજબૂત કમ્પાઉન્ડ વોલ તથા જરૂરી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરે તેવી સ્થાનિકોમાંથી માંગ ઉઠી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









