ભરૂચ તાલુકાના જુના તવરા ગામે છેલ્લા 15 દિવસથી ટપાલ વિતરણની કામગીરી ઠપ્પ થઈ જતાં ગ્રામજનો અને આસપાસની સોસાયટીના રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જરૂરી દસ્તાવેજો અને પત્રો સમયસર ન મળવાને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે.

તાજેતરમાં ગામલોકોએ તવરા પોસ્ટ ઓફિસની મુલાકાત લેતાં અંદર ટપાલોના ઢગલા જોવા મળ્યા હતા, જે છેલ્લા ઘણા દિવસોથી વિતરણ વગર પડ્યા હતા. ફરજ પર હાજર કર્મચારી ખુશી એચ. પ્રજાપતિએ જણાવ્યું કે ટપાલ વિતરણ માટે જવાબદાર કર્મચારી ગૌરવ મોહનભાઈ પટેલ છેલ્લા 12 તારીખથી ફરજ પર ગેરહાજર છે. આ મામલે ભરૂચ હેડ ઓફિસને અનેકવાર જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ટપાલોનો ભરાવો થયો છે.

આ પરિસ્થિતિથી ગુસ્સે થયેલા ગામલોકોએ તવરા પોસ્ટ ઓફિસનો ઘેરાવ કર્યો હતો. મામલો ગરમાતા ભરૂચ પોસ્ટલ સબ ડિવિઝનના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ અર્જુનસિંહ ચાવડા સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, તેમણે ગામલોકોને સંતોષકારક જવાબ ન આપતાં પરિસ્થિતિ વધુ તંગ બની હતી. અંતે ઉચ્ચ અધિકારીએ ગામલોકોને ખાતરી આપી કે ટપાલ વિતરણની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં જ નવા કર્મચારીની નિમણૂક કરીને ટપાલ વિતરણની વ્યવસ્થા ફરીથી સુચારુ રીતે શરૂ કરવામાં આવશે. જે બાદ જ ગામલોકો શાંત પડ્યા હતા. આ ઘટનાએ સરકારી સેવાઓની બેદરકારી પર અને પોસ્ટ વિભાગની કાર્યપદ્ધતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોને આશા છે કે આ ખાતરી મુજબ ટપાલ સેવા વહેલી તકે રાબેતા મુજબ શરૂ થશે.

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









