ભરૂચ: બંદગીની સુવાસ અને ઈમાનની મહેક, ૫ વર્ષીય ઝારાએ જીવનના પ્રથમ રોજા સાથે રબની ઈબાદત કરી..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અલ્લાહની રહેમત અને બરકતથી છલકાતા આ પવિત્ર રમઝાન માસમાં ભરૂચના કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં આસ્થાનું એક અનોખું અને ભાવુક દ્રશ્ય જોવા મળ્યું હતું. સલામ ગુજરાત અને આપણું ભરૂચ અખબારના તંત્રી એજાજ પઠાણની માત્ર ૫ વર્ષની લાડકવાઈ પુત્રી ઝારાએ આટલી નાની વયે ઈસ્લામના પાયા સમાન રોજાનું પાલન કરી અલ્લાહની બારગાહમાં પોતાની અતૂટ શ્રદ્ધા અર્પણ કરી છે. પવિત્ર રમઝાનના આ દિવસોમાં જ્યારે મોટેરાઓ પણ તરસ અને ભૂખની કસોટીમાંથી પસાર થતા હોય છે, ત્યારે માસૂમ ઝારાએ પોતાની અડગ હિંમત અને ઈમાનના જોરે આખો દિવસ અન્ન-જળનો ત્યાગ કરી પોતાના જીવનનો સર્વપ્રથમ રોજો પૂર્ણ કર્યો હતો.

પઠાણ પરિવારે પોતાની દીકરીને ઇસ્લામિક મૂલ્યો અને સંસ્કારોનું જે સિંચન કર્યું છે, તેનું પ્રત્યક્ષ પ્રતિબિંબ આ નાની બાળકીની બંદગીમાં જોવા મળ્યું હતું. ભરૂચમાં જ્યારે સૂર્ય પોતાનો પ્રકોપ વરસાવી રહ્યો છે. અને આકરી ગરમીના કારણે મોટેરાઓ પણ અકળાઈ રહ્યા છે, તેવા માહોલમાં કુંભારીયા ઢોળાવ વિસ્તારની ૫ વર્ષીય માસૂમ ઝારા એજાજ પઠાણે પોતાની અડગ આસ્થાનો પરિચય આપ્યો છે. ધોમધખતા તાપ અને અસહ્ય ઉકળાટ વચ્ચે, જ્યારે તરસ અને ભૂખની કસોટી ચરમસીમાએ હોય, ત્યારે આટલી નાની વયે અન્ન-જળનો ત્યાગ કરીને આખા દિવસનો રોજો પૂર્ણ કરવો એ કોઈ નાની વાત નથી.

ગરમીના આ વિકટ સંજોગોમાં પણ ઝારાના ચહેરા પરની સ્મિત અને ઈબાદત પ્રત્યેની તેની લગન જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. આ માસૂમ બાળકીની હિંમતે સાબિત કરી દીધું કે જ્યારે હૃદયમાં સાચી ભક્તિ અને ઈમાનનું જોર હોય, ત્યારે કુદરતની કસોટી પણ ટૂંકી પડે છે. ઝારાની આ અતૂટ શ્રદ્ધાએ માત્ર પઠાણ પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર ભરૂચવાસીઓના દિલ જીતી લીધા છે.ઝારાએ જ્યારે રોજો પૂર્ણ કર્યો, ત્યારે પઠાણ પરિવારની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો. પોતાની વહાલી દીકરીના આ પવિત્ર પગલાને યાદગાર બનાવવા માટે પરિવારે તેને ફૂલોથી સજાવી હતી અને માથે નૂર જેવો તાજ પહેરાવી તેનું સન્માન કર્યું હતું.

જાણે ઘરે વહેલી ઈદ આવી હોય તેવો ઉત્સાહ આખા મહોલ્લામાં જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશોએ પણ આ નનકડી રોજેદારની હિમ્મતને બિરદાવી તેને દુઆઓ અને અભિનંદનથી નવાજી હતી. સાંજે જ્યારે ઇફતારીનો સમય થયો ત્યારે ઝારાએ ખજૂરથી પોતાનો રોજો ખોલ્યો હતો. ઇફતારી બાદ આ માસૂમ બાળકીએ અત્યંત અદબ સાથે મુસલ્લા પર બેસી પોતાના બન્ને હાથ રબની બારગાહમાં ફેલાવી દીધા હતા. તેણે ખૂબ જ માસૂમિયત સાથે દેશમાં અમન-ચૈન, ભાઈચારો અને માનવજાતના કલ્યાણ માટે કરુણાસભર દુઆઓ ગુજારી હતી.આમ, ભરૂચના આ પઠાણ પરિવારની દીકરીએ સાબિત કરી દીધું કે, ભક્તિ માટે વય નહીં પણ હૃદયમાં સાચું ઈમાન હોવું જરૂરી છે. ઝારાનો આ પ્રથમ રોજો માત્ર એક ઉપવાસ નહીં, પણ આવનારી પેઢી માટે આસ્થા અને ધાર્મિક નિષ્ઠાનું એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,ભરૂચ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!