ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૭ મી માર્ચના રોજ આણંદ જિલ્લાના પેટલાદની મુલાકાતે પધારનાર હોવાની વિગતો મળી રહી છે.સી.એમ પેટલાદ ચામુંડા માતાના મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મુખ્યપ્રધાન ના કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.

આણંદ જિલ્લામાં આગામી તા.૭ મી માર્ચ શનિવારના રોજ પેટલાદ ખાતે અતિ પૌરાણિક ચામુંડા માતાના મંદિરમાં યોજાનાર કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારનાર છે. જેને ધ્યાને લઇ સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, આણંદના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.જેમાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ મુખ્યમંત્રીના કાર્યક્રમને ધ્યાને લઈ પ્રોટોકોલ મુજબ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થા અને અન્ય પાયાની જરૂરિયાતોનું યોગ્ય આયોજન થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો-વ્યવસ્થા, રૂટ ઉપર સાફ-સફાઇ સહિત રૂટ પરના વાહનવ્યવહાર નિયમન સબંધિત જરૂરી વ્યવસ્થાઓના સુચારૂ અમલીકરણ બાબતે કલેકટરે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈ, પેટલાદના પ્રાંત અધિકારી હિરેન બારોટ, નાયબ પોલીસ અધિક્ષક પેટલાદ વાઘેલા, ચામુંડા માતા ટ્રસ્ટ પેટલાદ ના ચેરમેન નિરંજનભાઇ પટેલ, ચામુંડા માતા ટ્રસ્ટ ના ટ્રસ્ટી ખોડાભાઈ પટેલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









