ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીનાજ કલાકો બાકી રહ્યા છે. ત્યારે વાગરા બજારમાં પતંગ અને દોરીની ખરીદી માટે લોકોની ભીડ જામી રહી છે. 14 અને 15 જાન્યુઆરીએ યોજાનારા મકરસંક્રાંતિના પર્વને લઈને નાનાથી મોટા સૌમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વેપારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં 15થી 20 ટકા જેટલો વધારો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષની ઉત્તરાયણ ભરૂચવાસીઓ માટે મોંઘી સાબિત થઈ રહી છે. જો કે, વધેલા ભાવ છતાં લોકોનો ઉત્સાહ ઓછો થયો નથી અને છેલ્લા ત્રણ-ચાર દિવસથી બજારોમાં ગ્રાહકોની સારી એવી ભીડ જોવા મળી રહી છે.

ભરૂચ જિલ્લાના શોખીન લોકો લાખો રૂપિયાની કિંમતના પતંગ અને દોરાની ખરીદી કરી રહ્યા છે, જે વેપારીઓ માટે આનંદની વાત છે. જો કે, પતંગ રસિકોને પક્ષીઓની સુરક્ષા માટે પણ સજાગ રહેવાની અપીલ કરવામાં આવી છે, જેથી દોરાથી કોઈ પક્ષીને ઈજા ન થાય કે તેમનું મૃત્યુ ન થાય તે માટે તકેદારી રાખવી પણ જરૂરી છે.
સદ્દામ બી. ભટ્ટી વાગરા









