ભરૂચ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સમાહર્તા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં અરજદરો ના પ્રશ્નો ને પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓ ને જિલ્લા કલેકટરે તાકિદ કરી હતી.

લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે. આથી, ભરૂચ જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા ની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષા નો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયો હતો.આ તબકકે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા એ ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’માં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી તમામ અરજીઓનું નિરાકરણ લાવ્યા હતા. કલેકટરે અરજદારો ના પ્રશ્નો ને ધ્યાનથી સાંભળી ઉપસ્થિત સંબંધિત અધિકારીઓ ને પ્રશ્નોને સંવેદના સાથે પ્રાથમિકતા આપી સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સૂચના અને માર્ગદર્શન આપી ઝડપી નિકાલની તાકિદ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ૨૭ જેટલી અરજીઓની રજૂઆત કરવામાં આવી હતી.સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, નિવાસી અધિક એન.આર.ધાધલ તેમજ સંલગ્ન વિભાગોને લગતા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સૈયદ અમજદ (બાપુ)









