ભરૂચ જિલ્લાના વાલીઓમાં સરકારી શાળાઓ પ્રત્યે વિશ્વાસમા સતત વધારો જોવા મળી રહ્યો છે.સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય ની ગેરંટી ને પગલે વાલીઓ સતત આ તરફ પ્રયાણ કરી રહયા હોવાનું ઉજાગર થવા પામ્યું છે.ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા સમગ્ર શિક્ષા અભિયાનના માર્ગદર્શન હેઠળ સરકારી શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ,આધુનિક સુવિધાઓ અને વિદ્યાર્થીલક્ષી યોજનાઓના કારણે વાલીઓમાં સરકારી શાળાઓ પ્રત્યે વિશ્વાસ સતત વધી રહ્યો છે.

જેના પરિણામે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ભરૂચ જિલ્લામાં નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ ને છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.જિલ્લાની ૧૭૬ સરકારી શાળાઓના કુલ ૬૮૫ છાત્રોએ ખાનગી શાળાઓને અલવિદા કહી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.આ પ્રવેશોમાં અંકલેશ્વર અને ભરૂચ તાલુકાઓ અગ્રેસર રહ્યા છે. સરકારી શાળાઓમાં ઉપલબ્ધ સ્માર્ટ ક્લાસરૂમ,મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત વિકસિત માળખાકીય સુવિધાઓ,ડિજિટલ શિક્ષણ,અનુભવી શિક્ષકો, રમત-ગમતની સુવિધાઓ, નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો, શિષ્યવૃત્તિ યોજનાઓ અને બાળક-કેન્દ્રિત શૈક્ષણિક વાતાવરણ વાલીઓને આકર્ષી રહ્યા છે.પરિણામે સરકારી શાળાઓ શિક્ષણ માટેની પ્રથમ પસંદગી બની રહી છે.

તાલુકાવાર પ્રાપ્ય વિગતો અનુસાર ભરૂચ તાલુકામાં ૪૫ શાળાઓમાં ૧૮૪ વિદ્યાર્થીઓ,અંકલેશ્વર તાલુકામાં ૪૧ શાળાઓમાં ૧૮૩ વિદ્યાર્થીઓ, વાગરા તાલુકામાં ૨૮ શાળાઓમાં ૧૦૦ વિદ્યાર્થીઓ, જંબુસર તાલુકામાં ૨૩ શાળાઓમાં ૭૨ વિદ્યાર્થીઓ, આમોદ તાલુકામાં ૧૩ શાળાઓમાં ૬૧ વિદ્યાર્થીઓ, નેત્રંગ તાલુકામાં ૧૨ શાળાઓમાં ૩૦ વિદ્યાર્થીઓ, હાંસોટ તાલુકામાં ૪ શાળાઓમાં ૨૯ વિદ્યાર્થીઓ, ઝઘડીયા તાલુકામાં ૮ શાળાઓમાં ૨૨ વિદ્યાર્થીઓ તેમજ વાલીયા તાલુકામાં ૨ શાળાઓમાં ૪ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા ને છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.ઉલ્લેખનીય છે કે જિલ્લા શિક્ષણ સમિતિ, ભરૂચ દ્વારા આગામી સમયમાં પણ ગુણવત્તાસભર શિક્ષણ અને શાળા પ્રવેશ અભિયાનને વધુ વેગ આપી વધુમાં વધુ બાળકોને સરકારી શાળાઓ સાથે જોડવા માટે પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ તા.૨૩,૨૪,૨૫ જૂન દરમિયાન યોજાશે.ભરૂચ જિલ્લા ૬૬૭ ગામો અને ૪ નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવેલ છે.ઉક્ત કાર્યક્ર્મ કુલ ૧૫૭ રૂટમાં ૯૦૮ સરકારી પ્રાથમિક શાળાઓ, કુલ ૧૫૦ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ ખાતે યોજાશે.જેમાં રાજ્ય ક્ક્ષના કુલ બે પદાધિકારીઓ અને IAS,IPS,IFS તેમજ સચિવાલય કેડરના કુલ ૧૬ અધિકારીઓ, જિલ્લાના પ્રમુખ,ધારાસભ્યો,પદાધિકારીઓ અને કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી,ઉપરાંત જિલ્લા પોલીસ વડા તથા ભરૂચ જિલ્લાના વર્ગ-૧ અને ૨ ના અધિકારીઓ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ટાણે મહાનુભાવો તરીકે ખાસ ઉપસ્થિત રહેશે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ તા.૨૩,૨૪,૨૫ દરમિયાન ભરૂચ જીલ્લામાં કુલ ૯૩૫૫ બાળકો બળવાટિકામમાં, ધોરણ-૧ માં ૫૦૨ બાળકો , આંગણવાડીમાં કુલ ૧૨,૯૩૯ બાળકો ,ધોરણ-૯ માં સરકારી અને ખાનગી શાળાઓમાં કુલ ૨૬,૦૮૩ તેમજ ધોરણ-૧૧ માં ૧૮,૮૪૪ બાળકોને પ્રવેશ આપવામાં આવશે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755








