આણંદ જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર નજીક આવેલા આ બ્રિજના એક ભાગે ભંગાણ આવતા ચાર વાહનો, જેમાં બે ટ્રક, એક પિકઅપ વાન અને એક બાઈક સામેલ છે, તે સીધા મહીસાગર નદીમાં ખાબક્યાં હતા. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે વ્યક્તિના મોત થયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ત્રણ લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા છે. સ્થાનિક લોકોના ટોળા તરત ઘટના સ્થળે ઉમટ્યા હતા. અને પોલીસ સાથે રેસ્ક્યુ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઈક સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે. આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વીડિયો શેર કર્યા હતા. બ્રિજ ધરાશાયી થઈ જવાને કારણે મોટાપાયે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાએ ટ્રાફિકનો નિકાલ લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રને અપીલ કરી હતી. આ બ્રિજનું નામ ગંભીરા બ્રિજ હોવાની જાણકારી મળી છે. નદીમાં ખાબકેલા વાહનો પાસે એક મહિલા મદદ માટે કગરતી દેખાઈ હતી. ઘટનાસ્થળેથી સામે આવેલા દૃશ્યો અનુસાર સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ફાયરબ્રિગેડની ટીમ પણ આવી પહોંચી છે. આ મામલે અમિત ચાવડાએ તંત્રને ઘેરતાં અનેક સવાલો પણ ઊઠાવ્યા હતા.

આ દુર્ઘટનાથી દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જતાં મુસાફરોને મોટી મુશ્કેલી સર્જાઈ છે. ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ તરફથી આવતા મુસાફરો માટે આ બ્રિજ સૌથી ટૂંકો માર્ગ હતો. બ્રિજ તૂટી પડતાં હવે લાંબો રસ્તો લેવો પડશે અને ટોલ પ્લાઝા પર લાંબી કતારો જોવા મળી શકે છે. આ દુર્ઘટના વાહન વ્યવહાર અને પ્રવાસન બંને પર ઊંડો અસર કરશે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









