વાગરા ના નાદિડા ગામે ખાણ ખનીજ વિભાગે છાપો મારી ગેરકાયદેસર ચાલતા માટી ખોદકામ પર ત્રાટકી હિટાચી મશીન જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ ભૂસ્તરશાસ્ત્રી ને બિનઅધિકૃત માટી ખનનની ફરિયાદ મળતા શુક્રવાર ની રાત્રી એ ભુસ્તરશાસ્ત્રી ના માર્ગદર્શન હેઠળ ખનીજ વીભાગ ની ટિમેં બિનઅધિકૃત ખનન બાબતે તપાસ કરતા વાગરા તાલુકાના નાંદીડા ગામની સીમમાં આકસ્મિક તપાસ કરવામાં આવતા ખનીજ નું બિનઅધિકૃત ખોદકામ ચાલતું હોવાનું સામે આવ્યું હતું.સ્થળ પર થી તંત્ર દ્વારા હિટાચી મશીન કબ્જે લઈ વાગરા પોલીસ સ્ટેશન ખાતે મૂકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સ્થાનિક સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ નાંદીડા ગામની સીમમાં સર્વે નંબર 48 વાળા એક ખેતરમાં ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોવાની વિગતો સાંપડી હતી.વાગરા પંથકમાં રોયલ્ટી વિનાજ ખનીજ માફિયાઓ માટી ઉલેચી રહ્યા હતા.? તો બીજી તરફ કોની રહેમ નજર હેઠળ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે? તેવા પ્રશ્નો હાલ તો ચર્ચા ની એરણે ચઢયા છે. ખનીજ વિભાગ દ્વારા માત્ર હિટાચી મશીન જપ્ત કરાયું છે. તો ખનીજ ને વહન કરવામાં ઉપયોગ માં લેવાતા અન્ય વાહનો ક્યાં રાખવામાં આવ્યા છે.? તે બાબત ની તપાસ કેમ કરવામાં આવતી નથી..?? આ વાહનો કયા કારણોસર જપ્ત કરવામાં નથી આવ્યા જેવા અનેક સવાલો પંથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાઇ રહ્યા છે.

આધારભૂત સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે આ ગેરકાયદેસર માટી ખનન કરાવનાર વાગરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત ઉપ-પ્રમુખ અનિલ વસાવા હોવાની ચર્ચાઓ એ પણ જોર પકડ્યું છે. જોકે આ મુદ્દે અનિલ વસાવાનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓએ આ મુદ્દે કઈ પણ કહ્યા વિના ફોન ડિસ્કનેક્ટ કરી નાખ્યો હતો.જ્યારે ખાણખનીજ વિભગના અધિકારીઓ નો પણ ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન કરાતા સંપર્ક પ્રસ્થાપિત થઈ શકયો ન હતો. ખાણ ખનીજ વિભાગ કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી ન હતી.જોકે ખાણખનીજ વિભાગ ની કાર્યવાહીને પગલે હાલતો વાગરા પંથકમાં બેફામ બનેલા ભૂ-માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું કહેવાય છે.

સદ્દામ બી. ભટ્ટી વાગરા









