સમગ્ર ભારત વર્ષની એકમાત્ર નર્મદા નદી ની પરિક્રમા કરવામાં આવે છે. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરતા હોય છે. સમગ્ર નર્મદા પરિક્રમા માં રેવાનાં સંગમ તિર્થ વમલેશ્વર નર્મદા પરિક્રમા માટે અનોખું મહત્વ ધરાવે છે. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે દરિયો પસાર કરવા માટે નર્મદા પરિક્રમાવાસીઓ ની તકલીફો ને ધ્યાને લઈ રાજય સરકાર,નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અનુદાનમાંથી ગુજરાત મેરીટાઈન બોર્ડ દ્વારા રૂપિયા ૨૧.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત જેટીનું ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ તેઓ ના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પરિક્રમાવાસીઓ ની મુશ્કેલી જોઈ,જે દૂર કરવા માટે કરેલા દુરદેશી વિચારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સાકાર કરી આ જેટીનું નિર્માણ કર્યું છે. આજે આ પ્રકલ્પના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી નો સંદેશો લઈને હું અહીં આવ્યો છું અને આ પવિત્ર કાર્યમાં મહત્વના પ્રોજેક્ટને પદયાત્રીઓ માટે ખુલ્લો મૂકતા આનંદની લાગણી અનુભવુ છું. કેન્દ્ર સરકારના સાનિધ્યમાં ગુજરાત સરકાર હંમેશાં વિકાસના માર્ગે ડબલ ગતિથી આગળ ધપી રહી છે ત્યારે દરેક ક્ષેત્રમાં પછી તે આધ્યાત્મિક હોય કે નાગરિકોના કલ્યાણની વાત હોય સૌની સુખાકારી માટે સતત ચિંતા કરી છે. જેના ફળ આપણે સહુ પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ.

વધુમાં મંત્રી એ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. તેઓ હંમેશાં ભારતના ગામડાઓના વિકાસ પર ભાર મૂકે છે. કારણ કે ગામડા સશક્ત થશે તો જ દેશ સશક્ત બનશે અને આજ પથ ઉપર ગુજરાત સરકાર આગળ વધી રહી છે. ત્યારે ગુજરાત સરકારના મેરિટાઈમ વિકાસ બોર્ડ દ્વારા હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે નિર્માણ પામેલી આ જેટીનું લોકાર્પણ થતાં હવે નર્મદાના લાખો પરિક્રમાર્થીઓ ને કોઈ મુશ્કેલી નહીં પડે અને પદયાત્રીઓ તેઓની યાત્રામાં સરળતાથી આગળની વધી શકશે.આ પ્રસંગે હાંસોટ – અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અગ્રણી પ્રકાશભાઈ મોદી,હરીશભાઈ રાવલ,ગિરિશાનંદ સ્વામીએ પણ પ્રસંગોચિત ઉદબોધન કરી પરિક્રમાર્થીઓ અને સ્થાનિકો વતી સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

જેટીના લોકાર્પણ પ્રસંગે સાધુસંતો અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી નર્મદાને સાડી અર્પણ કરી બોટની પણ પૂજા કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, પરિક્રમાવાસી ઓ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રાથમિક સુવિધા વિકસાવવા અંગે ટૂંકા ગાળાના આયોજન રૂપે તા.૨૧ ડિસે.૨૪ થી તા.૬ મેં ૨૦૨૫ સુધી પણ વિવિધ ટેમ્પરરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, રામકુંડ તિર્થ અંકલેશ્વરના ગંગાદાસ બાપુ, ભરૂચના અગ્રણી મારૂતિસિંહ અટોદરિયા, ગુજરાત મેરીટાઈમ બોર્ડના મુખ્ય ઇજનેર વી. પી. તલાવિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, તાલુકા પંચાયત અંકલેશ્વર અને હાંસોટના પ્રમુખ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સૈયદ અમજદ (બાપુ)









