ડભોઇ વાઘોડિયા માર્ગ પર મંથરગતિએ બની રહેલ ઢાઢર બ્રિજ ડભોઇ તાલુકાના ગોજાલી ગામ પાસે ડભોઇ વાઘોડિયા માર્ગ પર મંથરગતિએ ઢાઢર બ્રિજ બની રહ્યો છે.ડભોઈ થી વાઘોડિયા જતાં ગોજાલી પાસે બ્રિજની કામગીરીમાં વિલંબ થતા વધુ પાંચ મહિના સુધી ને બ્રિજની કામગીરી ની મુદત વધારવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને વેપારીવર્ગને હજુ વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. ડભોઈથી વાઘોડિયા જતા ગોજાલી નજીક ઢાઢર નદી ઉપર બ્રિજની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલતી હતી. જે કામની મુદત પૂર્ણ થઈ ગઈ છતાં બ્રિજ તૈયાર થયો નથી. હવે આ મુદત વધુ ૫ માસ સુધી લંબાવાઈ છે. ત્યારે હજુ પણ આ માર્ગનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી મુસાફરોને ડાયવર્ઝન આપેલ રસ્તાનો ઉપયોગ કરી મુસાફરી કરવી પડશે.

ડભોઈથી વાઘોડિયા જતા મુસાફરો, વિદ્યાર્થીઓ, વેપારી વર્ગ અને નોકરિયાતોને છેલ્લા એક વરસથી હાલાકી પડતી હોય તે રસ્તો હજી ૫ માસ બંધ રહેશે. એક વર્ષ પૂર્વે ડભોઈ થી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ ઉપર ગોજાલી નજીક ઓવર બ્રિજની કામગીરી ચાલી રહી હતી.જેને કારણે ૧૫ કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. કરાલી અને ખેરવાડી ફરીને મુસાફરી કરવી પડતી હતી. બ્રિજ બનવામાં વિલંબ થવાને કારણે આ દુવિધા યથાવત રહેશે. વડોદરા જિલ્લા કલેકટર દ્વારા ડાયવર્ઝનની તા. ૩૧ મે ૨૦૨૫ સુધી લંબાવાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જેને કારણે આગામી ૫ માસ સુધી મુસાફરો ને તકલીફ વેઠવી પડશે.

માર્ગ અને મકાન વિભાગનાં અધિકારીને પૂછતા વરસાદને કારણે ઢાઢર નદીમાં ૨થી ૩વાર પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેને કારણે ૪ માસ કામ બંધ રહ્યું હતું. આગામી દિવસો માં યુદ્ધના ધોરણે બ્રિજ બનાવાની કામગીરી કરાશે. જોકે વાહન ચાલકો અને મુસાફરોને નિયત કરેલ માર્ગનો ઉપયોગ કરવો પડશે. વિદ્યાર્થીઓ, નોકરિયાત અને વેપારીવર્ગે વધુ પાંચ માસ રાહ જોવી પડશે . ડભોઇ તાલુકાની અને વાઘોડિયાની જનતા ત્રાહિમામ પુકારી ઉઠી છે. વહેલી તકે આ બ્રિજનું કામ પૂર્ણ થાય તેની રાહ જોઈ ને તાલુકાના અને ગામના લોકો બેઠા છે.

ડભોઇ વાઘોડિયા માર્ગ પર મંથરગતિએ બની રહેલ ઢાઢર બ્રિજ તસવીરમાં નજરે પડે છે.
તસવીર :- બાલકૃષ્ણ શાહ –ડભોઇ









