ચાંદોદ ખાતે શ્રી જાંબુ બ્રાહ્મણ કાણ્વ સંસ્કૃત પાઠશાળા સંકુલમાં
ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદના શ્રી જાંબુ બ્રાહ્મણ કાણ્વ સંસ્કૃત પાઠશાળા ચાંદોદ-નવા માંડવા સંકુલમાં ૫૧ મો સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ યોજાયો જેમાં ૧૬ બટુકોએ યજ્ઞોપવિત ધારણ કરી ઉપનયન સંસ્કાર પ્રાપ્ત કર્યા હતા. વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ-નવા માંડવા ખાતે શ્રી જાંબુ બ્રાહ્મણ કાણ્વ સંસ્કૃત પાઠશાળા સંકુલમાં આજે ૫૧ માં સમૂહ નિ:શુલ્ક યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિસ્તાર ના બ્રાહ્મણ પરિવારો ના ૧૬ બટૂકો આયજ્ઞોપવિત સંસ્કાર માં જોડાયા હતા.

જનોઈને બ્રાહ્મણ કુળનો મહત્વનો સંસ્કાર ગણવામાં આવ્યો છે. સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ વિગેરે નવદેવોનું આહવાન કરી યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. આ સંસ્કાર પછી દ્વિજત્વ પ્રાપ્ત થાય છે. જનોઈ એ શરીરનું એક અદભુત રક્ષા કવચ છે. ઉપનયન સંસ્કાર પછી ત્રિકાલ સંધ્યા, દૈનિક સ્નાન, શરીરની શુદ્ધતા સાથે વિવેકપૂર્ણ આહાર ની સભાનતા અને સજાગતા જાળવવાની હોય છે. જનોઈમાં બટુકોને વેદ રક્ષા નો દંડ આપવા પાછળ વેદ રક્ષા કરવાનું કર્તવ્ય પણ સમાયેલું છે. પાઠશાળા સંકુલમાં યોજાયેલા નિ:શુલ્ક સમુહ યજ્ઞોપવિત કાર્યક્રમમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લ, યુવા ભાગવત કથાકાર નયનભાઈ શાસ્ત્રી, સંસ્થાના પ્રમુખ ગૌરાંગભાઈ ભટ્ટ પાઠશાળાના ચંદ્રકાંત શાસ્ત્રીજી, બાલકૃષ્ણ ગુરુજી, અનિલ ગુરુજી સહિત હોદ્દેદારો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના તેજસ્વી તારલાઓ તેમજ સંસ્કૃત ભાષામાં પારંગતતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું બહુમાન કરી પ્રોત્સાહિત કરી નિ:શુલ્ક યજ્ઞોપવિત કાર્યક્રમને સફળ બનાવનારા તમામ પરિવારજનોનો સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ :- બાલકૃષ્ણ શાહ ડભોઇ









