“સુજલામ સુફલામ જળસંચય અભિયાન ૨૦૨૫ કેચ ધ રેન ૨.૦” અંતર્ગત ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે ડીપાર્ટમેન્ટલ કામો તથા લોકભાગીદારી થી કરવાના થતા અંદાજિત રૂા. ૧૯૯૧.૯૬ લાખના ખર્ચે ૬૯૧ જળસંચયના કામો હાથ ધરાશે.

ચોમાસા પહેલા જળ સંચયનો વ્યાપ વધે તે મુજબના લોકભાગીદારી થી કામો હાથ ધરવા માટે સરદાર સરોવર નિગમ, સિંચાઇ વિભાગ, પાણી પુરવઠા વિભાગ,વોટરશેડ વિભાગ,નગર પાલીકા,વન વિભાગ,તાલુકા પંચાયત,વાસ્મો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વગેરે વિભાગો નિગમો દ્વારા કુલ ૬૯૧ જળસંચય તથા જળ બચાવના કામો હાથ ધરવામાં આવનાર છે.ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે ડીપાર્ટમેન્ટલ કામો તથા લોકભાગીદારી થી કામો થનાર છે. જેમા ભરૂચ જિલ્લાની મુખ્ય કાંસોની સફાઈ, ચેકડેમ ડીસીલ્ટીંગ, ચેકડેમ રીપેરીંગ, જળાશય ડીપનીંગ, નદીના પ્રવાહને અવરોધરૂપ ઝાડી ઝાખરા દુર કરવા, તળાવ ઉંડા કરવા,વગેરે જેવી કામગીરી નો સમાવેશ કરવામા આવેલ છે.

ભરૂચ જિલ્લામાં અંદાજે ૨૫ લાખ ઘનમીટર જેટલુ ડીસીલ્ટીંગ કરવાનો અંદાજ લગાવાયો છે.ઉકત અભિયાન આગામી ૩૧ મેં ૨૦૨૫ સુધી અમલમા રહેશે.જો કે રજુઆત મુજબ જળ સંચયના વધુ કામોનો સમાવેશ અભિયાનના સમય ગાળામા કરવામા આવશે. આ કામગીરી થવાથી ડીસીલ્ટીંગથી મળેલ માટી ખેડુતોને ખેતસુધારણા માટે, સરકારી કામો તથા જાહેરહિતના કામો માટે વિના મુલ્યે પુરી પાડવામા આવશે તથા ડીસીલ્ટીંગથી જે તે હાઇડ્રોલીક સ્ટ્રક્ચર (ચેકડેમ, ડેમ,નહેર વગેરે)ની સંગ્રહ શક્તિ પુન: સ્થાપીત થશે જેથી વરસાદી પાણીનો સંગ્રહ વધુ સારી રીતે થશે અને પ્રત્યક્ષ તથા પરોક્ષ સિંચાઇમા લાભ મળતો થશે.

સૈયદ અમજદ (બાપુ)









