ભૂતકાળમાં ટીબી રોગને રાજરોગ ગણવામાં આવતો હતો તેનું નિદાન અને સારવાર પણ ખુબ મુશ્કેલ હતી. પરંતુ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન જેવા કાર્યક્રમના પરિણામે ટીબીને હરાવવો શક્ય બન્યો છે. તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે ટીબીનું નિદાન અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ટી.બી. એ રાજરોગ કે મહારોગ નહીં પરંતુ મટી શકે તેવો રોગ છે.એન.ટી.ઇ.પી પ્રોગ્રામ અંતર્ગત વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગરૂપે ટીબી મુકત પંચાયતના સરપંચો તથા નિક્ષય મિત્રોના સન્માન સમારોહ રૂંગ્ટા હાઇસ્કૂલ ભરૂચના કોમ્યુનીટી હોલમાં રાખવામાં આવ્યો હતો. આ તબક્કે ભરૂચ જિલ્લાની કુલ ૫૫ ટીબી મુક્ત પંચાયત પૈકી ૩૮ ને બોન્ઝ અને ૧૭ ને સિલ્વર ગાંધીજી ની પ્રતિમા તેમજ સર્ટીફીકેટ આપી સરપંચો ને સન્માનિત કરાયા હતા જયારે ટીબી પેશન્ટને ન્યુટીશનની કીટ આપતા નિક્ષય મિત્રોને ટ્રોફી તથા સર્ટીફીકેટ આપી સન્માનિત કરાયા હતા.

ટીબી પેશન્ટને ન્યુટીશનની કીટ આપતા નિક્ષય મિત્રોને ટ્રોફી તથા સર્ટીફીકેટ આપી સન્માનિત કરાયા

કાર્યક્રમમાં આરસીએચઓ ડો. હસમુખભાઇ પટેલએ ક્ષય રોગ શું છે તેની માહિતી આપી હતી. ક્ષય(ટીબી)રોગ એ માઈક્રોબેકટેરીયમ ટ્યુબરક્યુલોસીસ નામના અતિ સૂક્ષ્મ જીવાણું (બેકટેરીયા) થી થતો ચેપી રોગ છે. તેમણે ક્ષયરોગના લક્ષણો અને તેની સારવાર માટેના ઉપાયોની પણ વિગતવાર સમજૂતી આપી હતી. સરકાર ટીબીના દર્દીઓને સારવાર પુરી પાડવાં આર્થિક સહાય પણ કરે છે ત્યારે સૌએ જાગૃત બની સામુહિક પ્રયત્નો થકી ટીબી મુક્ત ભારત બનાવવા પોતાની ભાગીદારી નોંધાવી જરૂરી છે. તેમ જણાવ્યું હતું.
જિલ્લા ક્ષય અધિકારી ડો. વાય.એમ.માસ્તરે ક્ષયના રોગ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ક્ષયનો રોગ હવે મટી પણ શકે છે અને અટકી પણ શકે છે. ક્ષયની સારવાર કરવામાં ફક્ત ડોક્ટર જ નહીં પરંતુ દર્દીનો પરિવાર, તેનો સમાજ અને તેની સાથે કામ કરતા સહ કર્મચારીઓએ પણ દર્દીને પ્રોત્સાહન આપી મહત્વપૂર્ણ ભાગ ભજવવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે દરેક વખતે ગ્રામસભામાં ક્ષયરોગની બીમારી ઉપર ચર્ચા થાય અને તેઓ નિયમિત રીતે દવા તથા પોષણ મેળવે છે કે નહિ તેની માહિતી મેળવી તેમને આર્થિક તેમજ માનસિક રીતે પ્રોત્સાહન આપવામાં આવે. રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન જેવા કાર્યક્રમના પરિણામે ટીબીને હરાવવો શક્ય બન્યો છે. તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે ટીબીનું નિદાન અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ટી.બી. એ રાજરોગ કે મહારોગ નહીં પરંતુ મટી શકે તેવો રોગ છે. તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં વધુ નિક્ષય મિત્ર તરીકે આ મહાયજ્ઞમાં સહભાગી બને તેવી અપેક્ષા સેવી હતી. આ પ્રસંગે ડૉ. ભુવનેશ્વરીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
“ટીબી હારશે, દેશ જીતશે, જન જન કો જગાના હૈ, ટીબી કો ભગાના હૈ” ની શપથ લેવાઈ
નિક્ષય મિત્ર જેસરાજ બંસલે સન્માન બદલ પ્રસન્નતા વ્યકત કરતાં કહ્યું કે સરકારી એકમો અને કોર્પોરેટ કંપનીઓ સાથે મળીને ક્ષય નાબૂદી માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહ્યા છે ત્યારે ક્ષયના રોગીઓને અપીલ છે કે દવાઓ તથા મદદ તમારા ઘર સુધી પહોંચે છે તો તમે પણ તેનો લાભ ઉઠાવો અને ક્ષયમાં પોતાની જાતની કાળજી લો તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત સૌએ “ટીબી હારશે, દેશ જીતશે, જન જન કો જગાના હૈ, ટીબી કો ભગાના હૈ” ની શપથ લીધી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, વિવિધ પેશન્ટને ન્યુટીશનની કીટદાતા નિક્ષય મિત્ર ડેફન ફાઇન કેમિકલ્સ, પેટ્રોનેટ એલએનજી લિ., દિપક ફાઉન્ડેશન, સેન્ટયુરી એન્કા લિ સેવાયજ્ઞ સમિતિ, ભરૂચ તેમજ તાલુકા હેલ્થ ઓફીસર, સુપરવાઇઝર, આરોગ્ય કર્મચારીઓ, સરપંચશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
સૈયદ અમજદ(બાપુ)









